Saturday, December 1, 2012

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડો. રાજેન્દ્ર પ્રસાદ



૩જી ડિસેમ્બરે આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને આઝાદીની ચળવળના અગ્રિમ હરોળના નેતા ડો. રાજેન્દ્ર પ્રસાદની ૧૨૮મી જન્મજયંતી છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ બે વખત ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે બે વખત રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશનારા તેઓ એકમાત્ર વ્યક્તિ છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ પછી આજ સુધી કોઈ પણ રાષ્ટ્રપતિને બે વખત આવો મોકો નથી મળ્યો.
* રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જિરાદેઈ ગામમાં મહાદેવ સહાય અને કમલેશ્વરી દેવીને ત્યાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા અને રાજેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ તેમની વિદ્વત્તા ઊતરી હતી.
* તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન રાજવંશીદેવી સાથે થયાં હતાં. તેમણે તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે પ્રારંભિક શિક્ષણ પટણાની આર. કે. ઘોષ એકેડેમીમાં મેળવ્યું હતું.
* ગાંધીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ રાજેન્દ્ર પ્રસાદના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બીજા બધા કોંગ્રેસી સભ્યોએ સ્વીકારી લીધો હતો.
* ૧૯૪૨ના વર્ષમાં જ્યારે તેમને જેલ જવાનું થયું ત્યારે તેમણે એ ૩ વર્ષમાં 'ઇન્ડિયા ડિવાઇડેડ' પુસ્તક લખ્યું હતું, જેની પછીથી ખૂબ જ નોંધ લેવાઈ હતી.
* પ્રથમ વખતની લોકપ્રિયતા પછી તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ૧૨ વર્ષ૩ મહિના અને ૧૮ દિવસ વિતાવ્યા હતા. આટલો વખત રાષ્ટ્રપતિ ભવનમાં ગાળનારા તેઓ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.
* દેશના રાષ્ટ્રપતિને તે સમયે ૧૦ હજાર રૂપિયાનો પગાર મળતો હતોજેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા સ્વીકારતા હતા. દેશનો એક રૂપિયો પણ ખોટી રીતે ખર્ચ થવો ન જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા.
* આઝાદીની લડત વખતે અલગ અલગ સમયે તેઓ ૧૬ વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એ દરમિયાન તેઓ લેખન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. આજના નેતાઓથી તદ્દન ભિન્ન એવી સરળ ગાંધીવાદી જીવનશૈલી અપનાવનારા ડો. રાજેન્દ્ર પ્રસાદનું નિધન ૨૮ ફેબ્રુઆરી૧૯૬૩ના રોજ થયું હતું. 

No comments:

Post a Comment